વડોદરા કોર્પોરેશન 7 પ્લોટની હરાજી કરશે, યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો પણ સમાવેશ



વડોદરા કોર્પોરેશન 7 પ્લોટની હરાજી કરશે, યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો પણ સમાવેશ



વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 7 પ્લોટની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં તાંદલજા વિસ્તારમાં સાંસદ યુસુફ પઠાણ સાથે જોડાયેલા વિવાદાસ્પદ પ્લોટનો પણ સમાવેશ થતો હોવાનું સામે આવતા રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ, 7 પ્લોટના વેલ્યુએશન માટેની દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જોકે આ મામલો હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પાલિકા દ્વારા ઉતાવળમાં દરખાસ્ત લાવી મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે જમીન સંબંધિત મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે ત્યારે મહાનગરપાલિકા પ્લોટની હરાજી કેવી રીતે કરી શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે. આ સાથે જ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્ત કેમ રજૂ કરી તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
વિરોધ પક્ષ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું હરાજીની પ્રક્રિયા દ્વારા યુસુફ પઠાણને પ્લોટ ફાળવી આપવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે? જોકે આ મુદ્દે પાલિકા અથવા સંબંધિત પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં કોર્ટની કાર્યવાહી તથા પાલિકાના આગામી પગલાં પર સૌની નજર રહેશે.




