અંબાજી શક્તિપીઠ ખાતે મોદીના 12 વર્ષ નિમિત્તે ભવ્ય મહાઆરતી, સૌના કલ્યાણ માટે કરાઈ પ્રાર્થના



અંબાજી શક્તિપીઠ ખાતે મોદીના 12 વર્ષ નિમિત્તે ભવ્ય મહાઆરતી, સૌના કલ્યાણ માટે કરાઈ પ્રાર્થના



અંબાજી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘12 વર્ષ અવિરત વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મહાઆરતી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ દેશવાસીઓની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પણ માતા અંબાના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓ અને વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને ડિજિટલ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ પ્રસંગે લોકોને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવા પણ અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સૌને પોતાના ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યને સ્વચ્છ રાખવા માટે સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
અંબાજી શક્તિપીઠ ખાતે યોજાયેલી આ ભવ્ય મહાઆરતીએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. માતાજીના જયઘોષ અને આરતીના દિવ્ય દૃશ્યો વચ્ચે શ્રદ્ધાળુઓએ દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.




