Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢો આરોપી ઝડપાયો, 8થી વધુ મંદિરોમાં ચોરીની કબૂલાત

ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ ચોરી કરનાર રીઢા આરોપીને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સિદ્ધનાથનગરના અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના બે ગુનાઓનો...
R Gajjar
R GajjarUpdated on: 24 Aug 2026 06:57 PM IST
ભરૂચમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢો આરોપી ઝડપાયો, 8થી વધુ મંદિરોમાં ચોરીની કબૂલાતભરૂચમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢો આરોપી ઝડપાયો, 8થી વધુ મંદિરોમાં ચોરીની કબૂલાત

Bharuch Temple Theft

ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ ચોરી કરનાર રીઢા આરોપીને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સિદ્ધનાથનગરના અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી આરોપી રાકેશ બચુભાઈ મેડાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા આઠથી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત સામે આવી છે.

અંબાજી મંદિરની ચોરી બાદ પોલીસ તપાસ શરૂ

તા. 17 ઓગસ્ટની રાત્રે સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાં અજાણ્યો શખ્સ પ્રવેશ્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ મળ્યા બાદ PI આર.એમ. વસાવાની સૂચનાથી સર્વેલન્સ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. સાથે જ અગાઉ મંદિર ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ અંગેની માહિતી પણ એકત્ર કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી.

શક્તિનાથ ગરનાળા પાસેથી આરોપી ઝડપાયો

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે મંદિર ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી 35 વર્ષીય રાકેશ બચુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીના રોકડા રૂ. 5,740 અને મોબાઇલ સહિત કુલ રૂ. 10,740નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પૂછપરછમાં 8થી વધુ મંદિર ચોરીની કબૂલાત

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે આઠ મહિના અગાઉ શક્તિનાથ સર્કલ પાસે આવેલા શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત પોલીસે જણાવ્યું મુજબ આરોપીએ નીચેના મંદિરોમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે:

  • આનંદનગરનું ઓમકારેશ્વર મહાદેવ મંદિર

  • આનંદનગરનું આનંદેશ્વર મહાદેવ મંદિર

  • આશ્રય સોસાયટીનું હનુમાનજી મંદિર

  • બાપા સીતારામ મઢુલી

  • ભાથીજીદાદા મંદિર

  • ભોલાવનું સોમનાથ મહાદેવ મંદિર

  • જ્યોતિનગર નજીકનું મહાદેવ મંદિર

  • ઝાડેશ્વરના આલેખ સોસાયટી નજીકનું મહાદેવ મંદિર

આ રીતે પોલીસે આરોપીની પૂછપરછમાં આઠથી વધુ મંદિર ચોરીના ગુનાઓની કડી સામે આવી હોવાનું જણાવ્યું છે.

રેલવે લાઇન નજીકના મંદિરોને બનાવતો ટાર્ગેટ

પોલીસ તપાસમાં આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ અને રાત્રિના પોલીસ પોઇન્ટથી સારી રીતે વાકેફ હતો. આરોપી કીમથી ટ્રેન મારફતે ભરૂચ આવતો અને ખાસ કરીને રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને ટાર્ગેટ કરતો હતો. રેલવે પાટા પરથી ચાલીને મંદિર સુધી પહોંચ્યા બાદ દાનપેટીમાંથી રોકડ ચોરી કરતો હતો. ત્યારબાદ મંદિરથી થોડે દૂર આવેલા અવાવરૂ સ્થળે જઈ દાનપેટી તોડી તેમાંથી રોકડ કાઢતો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.

આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો

પોલીસ રેકોર્ડ મુજબ રાકેશ મેડા અગાઉ પણ ભરૂચ શહેરના ‘એ’ અને ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીએ કરેલી અન્ય મંદિર ચોરીઓ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com