Vadodara : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું કર્યું લોકાર્પણ, નાની બાળકી સાથે કરી વાતચીત


Vadodara
Vadodara : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું કર્યું લોકાર્પણ, નાની બાળકી સાથે કરી વાતચીત


Vadodara
Vadodara : વડોદરાના સયાજીબાગ ખાતે આવેલી સંકલ્પ ભૂમિ પર આજે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌપ્રથમ સંકલ્પ ભૂમિ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ, બાબાસાહેબ આંબેડકરના સમર્થકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બાબાસાહેબના જીવન પર આધારિત પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું
નવનિર્મિત મેમોરિયલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને સંઘર્ષ સાથે જોડાયેલા વિવિધ પ્રસંગોને દર્શાવતા મ્યુરલ્સ તૈયાર કરવામાં આવ્યા છે. મેમોરિયલમાં બાબાસાહેબના જીવન પર આધારિત પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત બાબાસાહેબના ભાષણોનો વર્ચ્યુઅલ અનુભવ કરાવવાની સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવશે.
બાબાસાહેબ આંબેડકરનું સ્મારક અને મ્યુઝિયમ સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું
સંકલ્પ ભૂમિના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2006માં તેના નામાંકરણ અંગે ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો હતો. હવે મેમોરિયલના લોકાર્પણ સાથે બાબાસાહેબ આંબેડકરનું સ્મારક અને મ્યુઝિયમ સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નાની બાળકી અદિતિ સાથે પણ વાતચીત કરી હતી. ધોરણ-1માં અભ્યાસ કરતી અદિતિએ મુખ્યમંત્રી સાથે બાબાસાહેબ આંબેડકર અને ભારતના સંવિધાન અંગે વાત કરી હતી. અદિતિને બાબાસાહેબના વિચારો અને સંવિધાન અંગેની જાણકારીથી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા અને તેમણે અદિતિ સાથે 'જય ભીમ'ના નારા પણ લગાવ્યા હતા.
CMએ અદિતિના પિતા સાથે વાતચીત કરી
અદિતિના પિતા નિર્મલભાઈ ચાની રેંકડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કાર્યક્રમ દરમિયાન અદિતિ અને તેમના પિતા નિર્મલભાઈ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. મેમોરિયલના લોકાર્પણથી વડોદરાના સયાજીબાગ ખાતે બાબાસાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને સંવિધાન નિર્માણમાં તેમના યોગદાનને લોકો વધુ નજીકથી જાણી શકે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે.





