Get News Alerts

Never miss breaking news updates.

Surat ગ્રામ્યના પલસાણામાં દુઃખદ ઘટના, મંદિરમાં વકીલ અચાનક ઢળી પડતા નિપજયું મોત

Surat જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામે આવેલા બળિયા બાપજીના મંદિરે દુઃખદ ઘટના સામે આવી છે. પલસાણા બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને વકીલ હર્ષદ શુક્લા મંદિરમાં અચાનક પડી ગયા હતા.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 09:08 AM IST
Surat ગ્રામ્યના પલસાણામાં દુઃખદ ઘટના, મંદિરમાં વકીલ અચાનક ઢળી પડતા નિપજયું મોતSurat ગ્રામ્યના પલસાણામાં દુઃખદ ઘટના, મંદિરમાં વકીલ અચાનક ઢળી પડતા નિપજયું મોત

Surat Advocate Death

Surat : ઘટનામાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે હર્ષદ શુક્લાને સારવાર માટે બારડોલીની ગ્રીન એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે તપાસ બાદ હર્ષદ શુક્લાને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતાં પરિવારજનો તેમજ વકીલ આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પીએમ રીપોર્ટ બાદ સાચું કારણ આવશે સામે

ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલમાં કરાવવાની પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પોસ્ટમોર્ટમ માટે ફરજનો સમય પૂર્ણ થઈ ગયો હોવાનું કહી શરૂઆતમાં PM નહીં થાય તેવી વાત કરવામાં આવી હતી.

આ બાબતને લઈને પલસાણા અને બારડોલી બાર એસોસિએશનના વકીલોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વકીલો PM રૂમ ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી.

પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે

વાતચીત બાદ અન્ય તબીબની મદદથી હર્ષદ શુક્લાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમને લઈને હોસ્પિટલ પરિસરમાં થોડા સમય માટે તંગદિલી જેવો માહોલ જોવા મળ્યો હતો. હર્ષદ શુક્લા બારડોલીના રહેવાસી હતા અને મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના મૃતદેહને સબવાહિની મારફતે વતન ખેરાલુ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ, પલસાણા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વકીલ હર્ષદ શુક્લા મંદિરમાં કયા સંજોગોમાં પડ્યા અને તેમના મોત પાછળની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પલસાણા અને બારડોલીના વકીલ વર્તુળમાં શોકની લાગણી જોવા મળી રહી છે. અકસ્માતની આ ઘટનાએ એક તરફ પરિવારજનોને આઘાતમાં મૂક્યા છે, તો બીજી તરફ પોસ્ટમોર્ટમ પ્રક્રિયાને લઈને સર્જાયેલા વિવાદે પણ ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો : Junagadh નો ઉપરકોટ કિલ્લો 4 દિવસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો, દીપડો પાંજરે પૂરાતા વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.