રાજકોટમાં સ્વ. જનક કોટકના નિવાસસ્થાને પહોંચ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પરિવારને પાઠવી સાંત્વના



રાજકોટમાં સ્વ. જનક કોટકના નિવાસસ્થાને પહોંચ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પરિવારને પાઠવી સાંત્વના



રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ આગેવાન સ્વ. જનક કોટકના નિધન બાદ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
જગદીશ વિશ્વકર્માએ પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી સ્વ. જનક કોટકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સંવેદના વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ 80 વર્ષની વયે જનક કોટક ઉર્ફે જનક રાજાનું અવસાન થયું હતું. તેમના નિધનથી રાજકોટ શહેર તેમજ ભાજપ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
જનક કોટકને સેવા, સાદગી અને જનસંપર્કના પર્યાય તરીકે ઓળખવામાં આવતા હતા. રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીથી તેઓ સતત 7 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જે તેમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.
તેમણે પોતાના જાહેર જીવન દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક સહિતના વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
જનસંઘના સમયથી લઈને ભાજપના વિકાસ અને ભવ્ય જીતના અનેક ઐતિહાસિક પ્રસંગોના તેઓ સાક્ષી રહ્યા હતા. તેમના નિધનથી રાજકોટના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક ખાલીપો સર્જાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.




