અરવલ્લીમાં કુણોલ-મેઘરજ રોડ પર નવનિર્મિત ગરનાળું બેસી ગયું, વાહનચાલકો માટે જોખમ વધ્યું



અરવલ્લીમાં કુણોલ-મેઘરજ રોડ પર નવનિર્મિત ગરનાળું બેસી ગયું, વાહનચાલકો માટે જોખમ વધ્યું



અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કુણોલ-મેઘરજ માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલું ગરનાળું બેસી જતાં માર્ગ પર પસાર થતા વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. ગરનાળું બેસી જવાને કારણે રસ્તા પર ખાડા જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે અકસ્માતની આશંકા વધી ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલાં પણ ગરનાળાનું યોગ્ય અને કાયમી સમારકામ કરવામાં આવ્યું નહોતું. માત્ર મેટલ નાખીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કારણે થોડા જ સમયમાં ગરનાળું ફરી બેસી ગયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
રોજિંદા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન અકસ્માતનો ભય વધુ રહેતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ સમગ્ર મામલે સ્થાનિકોમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ જવાબદાર વિભાગ પાસે તાત્કાલિક અને ગુણવત્તાસભર સમારકામ કરવાની માંગ ઉઠાવી છે, જેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં જ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.




