MLA ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ ખસેડાયા



MLA ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ ખસેડાયા



Chaitar Vasava Jail: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને નર્મદા કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. સજા જાહેર થયા બાદ તમામ આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં સરકારી જમીન પરથી ગેરકાયદે વાવેતર દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ગોળીબાર કરવાના આરોપો હેઠળ આ કેસ નોંધાયો હતો. કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવતા સજાનો હુકમ કર્યો છે.
આરોપ છે કે, ધારાસભ્યના પીએ અને અન્ય લોકોએ વનકર્મચારીઓ પાસેથી ₹60,000ની ખંડણી પણ માગી હતી અને ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યું હતું. આ સમગ્ર મામલો તે સમયે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આરોપીઓને અન્ય જિલ્લાની જેલમાં મોકલવા અરજી કરવામાં આવી હતી. અરજીના અનુસંધાને ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નવ આરોપીઓમાં ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે.
ચુકાદા બાદ ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બે વર્ષથી વધુ સજાના કારણે ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર પણ સંકટ ઊભું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેલ જતા પહેલાં ચૈતર વસાવાએ કોર્ટના ચુકાદાનો આદર વ્યક્ત કર્યો હતો અને ન્યાયતંત્ર પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.




