વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચાર



વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચાર



વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી જાંબુબેટની રામવે પ્લાઝા નજીક ગલીમાંથી એક વ્યક્તિની લાશ કારમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતા જ રાવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે કારની તપાસ કરતા મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ હતી. મૃતક કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક રીતે આ મામલો હત્યાનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને પણ કરવામાં આવી હતી. હાલ રાવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.




