રાજકોટમાં મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં 50 થી 70 રૂપિયાનો વધારો



રાજકોટમાં મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં 50 થી 70 રૂપિયાનો વધારો



રાજકોટ: રાજકોટમાં ઈરાન-ઈઝરાયેલ સહિત મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આડઅસર હવે સ્થાનિક બજારો પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ખાસ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનજીવન પર મોંઘવારીનો ભાર વધી રહ્યો છે.
ખાદ્યતેલના ભાવમાં તાજેતરમાં ડબ્બા દીઠ 50 થી 70 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. પહેલેથી જ 2500 રૂપિયાથી વધુ કિંમતે વેચાતો તેલનો ડબ્બો હવે વધુ મોંઘો બનતા ગ્રાહકોમાં ચિંતા વધી છે. દૂધ, પેટ્રોલ, ડીઝલ, CNG ગેસ અને શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવ વધારાએ સામાન્ય જનતાના બજેટને અસર કરી છે.
એક તરફ વધતી મોંઘવારી અને બીજી તરફ અસહ્ય ગરમીના કારણે બજારોમાં ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ જેવી ખરીદી હવે જોવા મળતી નથી.
એક વેપારી સાથે વાત કરતા જણાવ્યુ કે , “તેલનો ડબ્બો પહેલાથી જ 2500 થી વધુ કિંમતે વેચાઈ રહ્યો છે, તેથી 50-60 રૂપિયાનો વધારો મોટો કહી શકાય નહીં. સામાન્ય રીતે જો ઘરમાં 3 સભ્યો હોય તો એક ડબ્બો અંદાજે 2 મહિના સુધી ચાલે છે, એટલે બજેટ પર મોટો ફટકો પડતો નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, સતત મોંઘવારી અને ગરમીના કારણે ગ્રાહકોની ખરીદીની ક્ષમતા અને બજારમાં રોનક બંને ઘટી રહ્યા છે.
બજારની હાલતને જોતા વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.




