વડોદરામાં બિલાડી કરડવાના કેસોમાં વધારો, દર મહિને 1 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચે છે



વડોદરામાં બિલાડી કરડવાના કેસોમાં વધારો, દર મહિને 1 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચે છે



વડોદરા: વડોદરા શહેરમાં અત્યાર સુધી રખડતા કૂતરાઓના આતંકના કિસ્સાઓ સામે આવતા હતા, પરંતુ હવે બિલાડી કરડવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આવા ચોંકાવનારા કેસો મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં પ્રાણીઓના ત્રાસને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. સયાજી હોસ્પિટલમાં દર મહિને પ્રાણી કરડવાના આશરે એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં બિલાડી કરડવાના કેસોમાં પણ વધારો નોંધાયો છે.
પ્રાણી કરડવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પ્રાણી કરડે ત્યારે તેને હળવાશથી ન લેવું જોઈએ અને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો ઘરેલુ ઉપચાર પર વિશ્વાસ રાખે છે, પરંતુ તે જોખમી સાબિત થઈ શકે છે. પ્રાણી કરડે ત્યારે ઘાને સારી રીતે સાફ કરવો, નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેવી અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ રસીનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો અત્યંત જરૂરી છે.




