જસદણમાં ગમખ્વાર અકસ્માત, બે પિતરાઈ ભાઈઓના મોત



જસદણમાં ગમખ્વાર અકસ્માત, બે પિતરાઈ ભાઈઓના મોત



રાજકોટ: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા ગોખલાણા ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા બે યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
કાર અને બોલેરો વચ્ચે ભીષણ ટક્કર
મળતી માહિતી મુજબ ગોખલાણા ગામ નજીક કાર અને બોલેરો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ બે યુવકોના મોત થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં ઘાયલ બનેલા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બે પિતરાઈ ભાઈઓના મોતથી શોક
અકસ્માતમાં ગોખલાણા ગામના ઘનશ્યામ મઘા બેરાણી અને રાજેશ ભાયા બેરાણી નામના બે પિતરાઈ ભાઈઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બંને યુવકોના મોતથી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
મૃતક યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
જસદણ પોલીસ તપાસમાં જોડાઈ
Jasdan Policeએ સમગ્ર અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું માનવામાં આવી રહ્યું છે.




