વટવા રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો: જમવાના ઝઘડામાં યુવકની હત્યા, ત્રણ આરોપી ઝડપાયા



વટવા રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો: જમવાના ઝઘડામાં યુવકની હત્યા, ત્રણ આરોપી ઝડપાયા



અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં મકાનમાંથી હાથ-પગ અને મોઢું બાંધી રાખેલી હાલતમાં મળેલા યુવકના મૃતદેહ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. શરૂઆતમાં રહસ્યમય ગણાતી આ ઘટનાએ હવે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક ઇમરાન સિંધા (વડોદરા)ની હત્યા જમવાના મુદ્દે થયેલા ઝઘડામાં કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક કિશોર કાયદાના સંઘર્ષમાં હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક ઇમરાન સાથે મકાનમાં વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિ કુમાર શાહુ ઉર્ફે રવિ અને એક કિશોર રહેતા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ભોજન બાબતે થયેલા ઝઘડામાં ઇમરાને અન્ય સાથે દુર્વ્યવહાર અને ગાળો આપતા મામલો ગરમાયો હતો.
ગુસ્સે ભરાયેલા આરોપીઓએ ઇમરાન પર માથાના ભાગે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને બાંધીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં તેનું મોત ગેગિંગ (શ્વાસ રોકાવાથી)ના કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ જયપુર, આગ્રા, મથુરા અને વૃંદાવન સુધી ફર્યા હતા. અંતે પોલીસએ બસના પીછો કરીને ફિલ્મી ઢબે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
આ કેસમાં એક યુવતીની સંડોવણીની શક્યતા પણ સામે આવી છે, જેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.




