વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું સમાપન: ડિફેન્સ ક્ષેત્રમાં ₹2,550 કરોડના રોકાણના MoU



વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું સમાપન: ડિફેન્સ ક્ષેત્રમાં ₹2,550 કરોડના રોકાણના MoU



વડોદરા: ‘આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ વિષય પર યોજાયેલા સેમિનારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ડિફેન્સ ક્ષેત્રે ₹2,550 કરોડના રોકાણ માટે ચાર મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણથી રાજ્યમાં 4 હજારથી વધુ રોજગારીની તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને MSMEsની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
વડોદરામાં આત્મનિર્ભર ભારત પર કેન્દ્રિત સેમિનારનું આયોજન
વડોદરા ખાતે મધ્ય ગુજરાત માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ચોથી આવૃત્તિનો સમાપન થયો હતો. GSFC યુનિવર્સિટી ખાતે યોજાયેલી બે દિવસીય સમિટના અંતિમ દિવસે 'આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ' વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચાર કંપનીઓએ ₹2,550 કરોડના રોકાણ માટે કર્યા MoU
રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ડિફેન્સ ક્ષેત્રની ચાર કંપનીઓએ ગુજરાતમાં કુલ ₹2,550 કરોડના રોકાણ માટે સમજૂતી કરાર (MoU) કર્યા હતા. આ રોકાણ ખેડા, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સથી રાજ્યમાં 4 હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે.
ડિફેન્સ ઉત્પાદનને મળશે નવી ગતિ
દિનેશ ચંદ્ર ડિફેન્સ સિસ્ટમ્સ પ્રા. લિ., રામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ LLP, શ્રી ખોડિયાર હેવી એન્જિનિયરિંગ પ્રા. લિ. અને એસઆરકે ટેક્ટ્રોનિક્સ LLP દ્વારા આ રોકાણ કરવામાં આવશે. કંપનીઓ ડિફેન્સ સિસ્ટમ્સ, એરોસ્પેસ ટૂલિંગ, એન્જિન, UAV સિસ્ટમ્સ અને અન્ય સંરક્ષણ સાધનોના ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે.
સ્ટાર્ટઅપ્સને રાજનાથ સિંહનો ખુલ્લો સંદેશ
સેમિનાર દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગકારો સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો અને સૂચનો સીધા રજૂ કરી શકે છે. તેમણે કહ્યું કે, "એક સ્ટાર્ટઅપ તરીકે તમે સીધી સંરક્ષણ મંત્રીની અપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો." તેમણે સંશોધન, નવીનતા અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
નવી ટેક્નોલોજી અને સ્વદેશીકરણ પર નિષ્ણાતોની ચર્ચા
સેમિનારમાં DRDO, ભારતીય વાયુસેના, IIT ગાંધીનગર, લઘુ ઉદ્યોગ ભારતી અને ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતોએ એરોસ્પેસ, સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેક્નોલોજી અને સંરક્ષણ સ્વદેશીકરણ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત 'આયાત નિર્ભરતાથી સ્વદેશી ક્ષમતા સુધી' વિષય પર પેનલ ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ અને સરકાર વચ્ચેના સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.




