વડનગરમાં હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ



વડનગરમાં હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ



વડનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને જાળવવા માટે ચાલી રહેલા મહત્વકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ પાયલોટ આધાર પર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીએ વડનગરની પ્રાચીન ઇમારતો અને ઐતિહાસિક શેરીઓને તેમના મૂળ વૈભવ સાથે પુનઃસ્થાપિત કરવાની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડનગરના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને તેને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાનો સરકારનો સંકલ્પ છે.
આ પ્રોજેક્ટને ચાર મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં પ્રેરણા સ્કૂલ પરિસર, કીર્તિ તોરણ પરિસર, પથ્થરની હવેલી વિસ્તાર અને શર્મિષ્ઠા તળાવના કિનારા જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં હેરિટેજ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, અત્યાર સુધી કુલ 55 ઐતિહાસિક ઇમારતોનું રિસ્ટોરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલના તબક્કે વધુ 52 ઇમારતો પર કામ ચાલુ છે, જ્યારે આગામી સમયમાં વધુ 2 ઇમારતોનું રિસ્ટોરેશન હાથ ધરવાનું આયોજન છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વડનગરનો સમગ્ર હેરિટેજ વિસ્તાર નવા અને આકર્ષક રૂપમાં વિકસિત થશે.




