વાપી-શામળાજી હાઇવે જમીન સંપાદન વિવાદ, ખેડૂતોએ કહ્યું - જાન દેંગે, જમીન નહીં



વાપી-શામળાજી હાઇવે જમીન સંપાદન વિવાદ, ખેડૂતોએ કહ્યું - જાન દેંગે, જમીન નહીં



સુરતઃ જિલ્લામાંથી પસાર થતા વાપી-શામળાજી હાઇવે પ્રોજેક્ટને લઈ ભારે રોષ ફાટી નીકળ્યો છે. નેશનલ હાઇવે 56ની બાયપાસ કામગીરી માટે થનારા જમીન સંપાદન સામે આજે માંડવી તાલુકાના સથવાવ ગામે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ‘જાન દેંગે, જમીન નહીં’ના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આગેવાનોની અટકાયત કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. લોકોએ ચક્કાજામના પ્રયાસો કર્યા હતા. જમીન સંપાદનમાં લોકોએ જમીન-ઘરો જવાની ભીતિ સેવાઇ રહી છે.
આજે માંડવીના સથવાવ ખાતે નેશનલ હાઇવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે, હાઇવે પ્રોજેક્ટના તેમના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે. માંડવી તાલુકાના અનેક ગામોમાં તેની વ્યાપક અસર જોવા મળશે. પ્રોજેક્ટના કારણે તેઓ જમીનવિહોણા બની જશે અને અનેક પરિવારો ઘરવિહોણા થવાની કગાર પર છે.
વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને આદિવાસી આગેવાન અખિલ ચૌધરી સહિતના આગેવાનો ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા. વિરોધ દરમિયાન ખેડૂતો સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા જવા નીકળ્યા હતા. જો કે, સાંસદના આશ્રમ નજીક પોલીસે બેરીકેડ મૂકી ટોળાને અટકાવ્યું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી સામે ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા.
વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિત અંદાજે 20થી 30 લોકોની અટકાયત કરી હતી. અટકાયતના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટના દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની પાસે બીજી કોઈ જમીન કે રહેવા માટે ઘર નથી, છતાં તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી. જમીન અને આવાસ ગુમાવવાની ભીતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખેડૂતોનો વિરોધ હજુ યથાવત રહેતા વાપી-શામળાજી હાઇવે જમીન સંપાદન મુદ્દો હવે વધુ રાજકીય સાથે વધુ વેગવંતો લેતો બનશે અને જિલ્લામાં અન્ય સ્થળોએ પણ આંદોલનના અણસાર જોવા મળી રહ્યો છે.




