સુરતના તક્ષશિલા અગ્નિકાંડની 7મી વરસી, મૃતકના પિતાએ કહ્યુ - 7 વર્ષ અમારા માટે 100 વર્ષ સમાન...



સુરતના તક્ષશિલા અગ્નિકાંડની 7મી વરસી, મૃતકના પિતાએ કહ્યુ - 7 વર્ષ અમારા માટે 100 વર્ષ સમાન...



Surat Takshshila Agnikand: સુરત શહેરના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા અગ્નિકાંડને આવતીકાલે 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે સાત-સાત વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળ્યો નથી. ન્યાયની આશાએ પરિવારો હજુ સુધી કોર્ટમાં ધક્કા ખાઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ જણાવ્યુ હતુ કે, 7 વર્ષ વીતી ગયા હોવા છતાં એક-એક દિવસ ભૂલાતો નથી. અમારા માટે 7 વર્ષ 100 વર્ષ સમાન છે.
સરથાણામાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગ નજીક મૃતકોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જેમાં મૃત્યુ પામેલા 22 બાળકોની તસવીરો લગાવવામાં આવી છે. ત્યારે 7મી વરસીને પગલે પરિવારજનો ત્યાં ભેગા થયા હતા અને તમામ પરિવારજનોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. તમામ પરિવારો હજુ સુધી આ મામલે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે અને તમામ જવાબદારને યોગ્ય સજા મળે.
શું હતી સમગ્ર ઘટના?
24મી મે, 2019ના દિવસે સુરતમાં બનેલી આ દુર્ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તક્ષશિલા આર્કેટ નામની ઇમારતમાં લાગેલી ભયાનક આગમાં 22 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ચાર વિદ્યાર્થી અને 18 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તે સમયે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોચિંગ સેન્ટરમાંથી બહાર નીકળવા માટે કોઈ ઇમર્જન્સીની વ્યવસ્થા નહોતી અને તેને કારણે જાનહાનિ વધી ગઈ હતી. મહત્વનું છે કે, આ કેસમાં વાલીઓ સ્પેશિયલ પ્રૉસિક્યુટરની મદદથી કેસ લડી રહ્યા છે. આ કેસના 14 આરોપીઓને જામીન મળી ગયા છે. અહેવાલો અનુસાર આ 14 આરોપીઓમાંથી આઠ સરકારી અધિકારીઓ હતા અને છ બિલ્ડર તથા કોચિંગ સેન્ટર સાથે સંકળાયેલા હતા.




