સુરતમાં રેકોર્ડબ્રેક વરસાદથી જળબંબાકાર: ચાર ખાડીઓ ઓવરફ્લો, 2,100થી વધુ લોકોનું સ્થળાંતર, દક્ષિણ ગુજરાતમાં 11નાં મોત



સુરતમાં રેકોર્ડબ્રેક વરસાદથી જળબંબાકાર: ચાર ખાડીઓ ઓવરફ્લો, 2,100થી વધુ લોકોનું સ્થળાંતર, દક્ષિણ ગુજરાતમાં 11નાં મોત



દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે સ્લમ વિસ્તારોથી લઈને પોશ વિસ્તારો સુધી પાણી ફરી વળતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખાડીઓ ભયજનક સપાટીથી ઉપર વહેતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં અનેક પરિવારોને સલામત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાંથી અંદાજે 2,100થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ દરમિયાન ભારે વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં વીજકરંટ લાગવો, ઝાડ પડવું અને વીજળી પડવા જેવી ઘટનાઓમાં દક્ષિણ ગુજરાતમાં કુલ 11 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી માટે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની તમામ શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.




