સુરતના પાંડેસરામાં હત્યા, મિત્રએ અન્ય મિત્રને ચપ્પાથી રહેંસી નાંખ્યો; આરોપીની ધરપકડ



સુરતના પાંડેસરામાં હત્યા, મિત્રએ અન્ય મિત્રને ચપ્પાથી રહેંસી નાંખ્યો; આરોપીની ધરપકડ



Surat News: સુરત શહેરમાં હત્યાના બનાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. એક તરફ પોલીસ ગુનાખોરીને ડામવા માટે પેટ્રોલિંગ, કોમ્બિંગ અને અસામાજિક તત્વો સામે સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ સતત સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના પાંડેસરા વિસ્તારમાં બની છે, જ્યાં મિત્રએ જ મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારના પ્રેમનગરમાં રહેતા અમોલ મહેન્દ્ર સાલવે અને તેનો ખાસ મિત્ર સન્ની જાદવ ગત રાત્રે સાથે જમવા ગયા હતા. જમતી વખતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, ત્યારબાદમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી. ત્યારબાદ અમોલ ત્યાંથી નીકળી પોતાના ઘરે પ્રેમનગર પહોંચી ગયો હતો. આ દરમિયાન અમોલ સાથે થયેલી બોલાચાલીને લઈને સન્ની જાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાછળ પ્રેમનગર પહોંચ્યો હતો. ત્યાં તેણે ચપ્પુ વડે અમોલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમોલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
સ્થાનિક લોકોની મદદથી અમોલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃતકના ભાઈ સુદર્શન સાલવેએ જણાવ્યું હતું કે, ‘સન્ની જાદવ અમોલનો ખાસ મિત્ર હતો. જમતી વખતે સન્ની ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારે અમોલે તેને સમજાવ્યું હતું કે 'તું હંમેશા આવું કેમ કરે છે, મને આ બધું પસંદ નથી.' આ વાતથી સન્ની ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રેમનગર પહોંચી અમોલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.’
સુદર્શન સાલવેનો વધુ આક્ષેપ છે કે, હુમલા સમયે સન્ની નશાની હાલતમાં હતો અને નશાના પ્રભાવ હેઠળ તેણે તેમના ભાઈની નિર્દયતાથી હત્યા કરી હતી. તેમણે પોલીસ પ્રશાસનને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સન્ની જાદવની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે, જ્યારે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.




