સુરત નાસિરનગર ડિમોલેશન મામલે મનપા કમિશનરનું નિવેદન, ડિમોલેશન મનપાએ જ કર્યું હોવાની કબૂલાત



સુરત નાસિરનગર ડિમોલેશન મામલે મનપા કમિશનરનું નિવેદન, ડિમોલેશન મનપાએ જ કર્યું હોવાની કબૂલાત



Surat News: સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ બાદ હવે કમિશનર એમ. નાગરાજને મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ સ્વીકાર્યું છે કે, નાસિરનગર વિસ્તારમાં થયેલું ડિમોલેશન સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું હતું.
મનપા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈનદોરીના અમલ અને સત્તાવાર ડિમાર્કેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કમિશનરે વધુમાં જણાવ્યું કે, ડિમોલેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તની માગણી પણ મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવી હતી.
જો કે, સમગ્ર મામલો હાલમાં હાઈકોર્ટમાં વિચારાધિન હોવાથી તેમણે વધુ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એમ. નાગરાજને જણાવ્યું હતુ કે, ‘હાલમાં આ મુદ્દે વધુ કંઈ નહીં કહું, કારણ કે મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.’
ઉલ્લેખનીય છે કે, નાસિરનગર ડિમોલેશન મામલો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે અને હવે મનપા કમિશનરના નિવેદન બાદ સમગ્ર પ્રકરણમાં નવા પ્રશ્નો અને ચર્ચાઓ ઊભી થઈ છે. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ આ મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.




