સુરતમાં નકલી ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું, 3.71 લાખનો મુદ્દામાલ કબ્જે



સુરતમાં નકલી ઘી વેચવાનું કૌભાંડ ઝડપાયું, 3.71 લાખનો મુદ્દામાલ કબ્જે



Surat News: સુરત જિલ્લામાં અસલીના નામે નકલી વસ્તુઓ વેચવાનો ખેલ યથાવત્ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા LCBએ કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં દરોડા પાડી શંકાસ્પદ ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન, સામે આવ્યું કે ગાયના શુદ્ધ ઘીના નામે પામ ઓઇલ અને વનસ્પતિ તેલ ભેળવી હલકી ગુણવત્તાનું ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ નકલી ઘીને “શુદ્ધ ગાય ઘી” તરીકે બજારમાં વેચવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે.
દરોડા દરમિયાન સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડના ઘીના ભરેલા ડબ્બાઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘી બનાવવાની મશીનરી, ખાલી ડબ્બાઓ, પૂઠ્ઠાઓ સહિત કુલ અંદાજે રૂ. 3.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસે કારખાનાના સંચાલક વિરુદ્ધ હાલ જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




