રીવાબા જાડેજાની ‘બેક ટુ સ્કૂલ’ પહેલથી ડ્રોપઆઉટ દીકરીનું ભવિષ્ય ફરી ઉજ્જવળ બન્યું



રીવાબા જાડેજાની ‘બેક ટુ સ્કૂલ’ પહેલથી ડ્રોપઆઉટ દીકરીનું ભવિષ્ય ફરી ઉજ્જવળ બન્યું



સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ એક ડ્રોપઆઉટ દીકરીના ઘરે રૂબરૂ પહોંચી તેને પુનઃ શિક્ષણના માર્ગે લાવવાની સંવેદનશીલ પહેલ કરી છે. ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત મંત્રીશ્રીએ દીકરી અને તેના પરિવારને પ્રોત્સાહિત કરીને તેનું પુનઃ શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કર્યું હતું.
સુરેન્દ્રનગરના દાળમીલ રોડ, શક્તિ માતા મંદિર નજીક રહેતી દેવયાનીબા જાડેજાએ કેટલાક વ્યક્તિગત કારણોસર અભ્યાસ છોડ્યો હતો. આ બાબતની જાણ થતાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પ્રોટોકોલની પરવા કર્યા વિના સીધા જ તેના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ દીકરી સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કરી અભ્યાસ છોડવાના કારણો સમજ્યા હતા અને પરિવારને દીકરીના ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમની સમજણ અને પ્રોત્સાહનના પરિણામે પરિવાર અને દીકરીએ ધોરણ-૯ માં ફરીથી અભ્યાસ શરૂ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દેવયાનીબાને ધોરણ-૯ના પાઠ્યપુસ્તકો પોતાના હસ્તે એનાયત કર્યા હતા તેમજ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાવુક બનેલી દેવયાનીબાએ જણાવ્યું હતું કે, મંત્રીશ્રીની મુલાકાત બાદ તેણે ફરીથી ઉત્સાહપૂર્વક અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે દીકરીઓનું શિક્ષણ સશક્ત અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. રાજ્ય સરકારનો હેતુ કોઈપણ બાળક, ખાસ કરીને દીકરીઓ, શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દીકરીના આગળના હાઈસ્કૂલ અને કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીની આ સંવેદનશીલ અને પ્રેરણાદાયી પહેલની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.




