રાજકોટ ઝૂમાં ખુશીના સમાચાર: સિંહણ 'ધારા'એ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો



રાજકોટ ઝૂમાં ખુશીના સમાચાર: સિંહણ 'ધારા'એ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો



રાજકોટ: રાજકોટ પ્રાણીઉદ્યાનમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. એશિયાઈ સિંહણ 'ધારા'એ 11 જૂન, 2026ના રોજ રાત્રે ત્રણ તંદુરસ્ત સિંહબાળને જન્મ આપ્યો છે. નવા મહેમાનોના આગમનથી ઝૂ તંત્ર અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ઝૂ તંત્રના જણાવ્યા અનુસાર માતા સિંહણ અને ત્રણેય બચ્ચાં સંપૂર્ણપણે સ્વસ્થ છે. ઝૂની વેટરનરી ટીમ દ્વારા તેમની સતત દેખરેખ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી માતા અને બચ્ચાંનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
આ નવા જન્મ સાથે રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને 17 થઈ છે. નોંધનીય છે કે રાજકોટ ઝૂમાં અત્યાર સુધી કુલ 55 સિંહબાળનો જન્મ નોંધાઈ ચૂક્યો છે, જે વન્યજીવ સંવર્ધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
સિંહબાળના જન્મથી રાજકોટ પ્રાણીઉદ્યાન ફરી એકવાર વન્યજીવ સંવર્ધન અને સંરક્ષણના ક્ષેત્રમાં ગૌરવનું કેન્દ્ર બન્યું છે. સાથે જ આ નવા મહેમાનોના આગમનથી પ્રવાસીઓ માટે પણ આકર્ષણમાં વધારો થયો છે.




