રાજકોટમાં ડિમોલિશન વખતે અધિકારીઓએ 27 લાખનું ખાવાનું ઝાપટી ગયા! કમિટીએ બિલ પેન્ડિંગ રાખ્યું



રાજકોટમાં ડિમોલિશન વખતે અધિકારીઓએ 27 લાખનું ખાવાનું ઝાપટી ગયા! કમિટીએ બિલ પેન્ડિંગ રાખ્યું



Rajkot Municipal Corporation: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કુલ 9 દરખાસ્તોમાંથી 6 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે કેટલીક મહત્વની દરખાસ્તો નામંજૂર અથવા પેન્ડિંગ રાખવામાં આવી હતી. પર્યાવરણને ધ્યાનમાં રાખી રજૂ કરાયેલી ‘ગ્રીન અર્બન પોલિસી’ની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે ડ્રોન દ્વારા મચ્છર નિયંત્રણની દરખાસ્ત વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે.
બેઠકમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ભોજન અને નાસ્તાના રૂ. 27.20 લાખના બિલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. સંવેદનશીલ વાતાવરણ વચ્ચે અધિકારીઓ દ્વારા કાજુકતરી, અંજીર રોલ સહિતના ખર્ચ અંગે ખુલાસો માગવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ કૌભાંડની આશંકાને ધ્યાનમાં રાખી બિલ સંબંધિત દરખાસ્ત પેન્ડિંગ રાખી છે.
વિગતો મુજબ ડિમોલિશન દરમિયાન કાજુકતરી, સમોસા, ખજૂર રોલ અને ખમણની 150 પ્લેટ માટે રૂ. 34,650નું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરાધના ટી સ્ટોલનું ચા, કોફી અને બિસ્કીટનું રૂ. 6.30 લાખથી વધુનું બિલ રજૂ થયું હતું. જેમાં અંદાજે 21 હજાર કપ ચા અને 4 હજાર બોટલ લીંબુ શરબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રેમવતી રેસ્ટોરન્ટનું ભોજન બિલ રૂ. 20.68 લાખ દર્શાવવામાં આવ્યું છે.
આ મામલે ખર્ચની પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે હવે અધિકારીઓને બે મહિનાની અંદર બિલોની સંપૂર્ણ વિગતો અને જરૂરી સ્પષ્ટતા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર મામલે બિલોમાં ગેરરીતિ અથવા કૌભાંડ થયું છે કે નહીં તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.




