રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે મનપા કમિશનર બોલ્યા - ગેરરીતિની તપાસ થશે



રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે મનપા કમિશનર બોલ્યા - ગેરરીતિની તપાસ થશે



Rajkot News: રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે રાજકીય અને વહીવટી સ્તરે હલચલ તેજ બની છે. મેયર ડૉ.નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિવેદનો આપવામાં આવ્યા હતા.
મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું કે, ડિમોલિશન પ્રક્રિયામાં કથિત ભ્રષ્ટાચાર અને અધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિશેષ તપાસ કમિટીની રચના કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા કેટલાક બિલ શંકાના દાયરામાં આવતા તેની સચોટ અને તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર અથવા કોઈની સંડોવણી સામે આવશે તો BPMC એક્ટ મુજબ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઈને ઉઠેલા સવાલો બાદ મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું કે, મેયરની સૂચના અનુસાર તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને ડિમોલિશનના દરેક બિલની તલસ્પર્શી તથા નિષ્પક્ષ તપાસ થશે. જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે ત્યાં રિકવરી પણ કરવામાં આવશે.
કમિશનરે જણાવ્યું કે, 1500થી 1600 મકાનોનું ડિમોલિશન હોવાથી ખર્ચ મોટો હોવો સ્વાભાવિક છે, પરંતુ પ્રજાના પૈસામાં કોઈ ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. તપાસ સમિતિમાં પથિક પટેલ સિવાય અન્ય અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.




