જેતલસર જંકશન મુદ્દે ગ્રામજનો-ધારાસભ્ય વચ્ચે બેઠક, આંદોલનની ચીમકી યથાવત



જેતલસર જંકશન મુદ્દે ગ્રામજનો-ધારાસભ્ય વચ્ચે બેઠક, આંદોલનની ચીમકી યથાવત



Jayesh Radadia: રાજકોટના જેતલસર જંકશન સંબંધિત મુદ્દે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગ્રામજનો સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. લોબી સહિત અંદાજે 72 જેટલા સ્ટાફની બદલીના નિર્ણયને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ યથાવત રહ્યો છે.
લોબી શિફ્ટ કરવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ગ્રામજનોએ રેલવે સમિતિ રચીને ધરણા અને આંદોલન કર્યા હતા. રેલવે બચાવ સમિતિના પ્રતિનિધિ મંડળે રેલવે મંત્રી સાથે મુલાકાત કર્યા બાદ આશ્વાસન મળતાં તાત્કાલિક આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ અગાઉ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને આંદોલનની ચીમકી આપી હતી. નિર્ધારિત સમય પૂર્ણ થતાં તેમણે હાલની સ્થિતિની સમીક્ષા કરી અને રેલવે GM સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, સ્ટાફની બદલી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો કે, જો એક ઓર્ડર બાદ પણ વિલંબ થશે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે આપી છે.
ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું કે, જો આવનારા દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલન અનિવાર્ય બનશે. આ સાથે જ જેતલસર જંકશનનું મહત્વ યથાવત રહે તે માટે તમામ પ્રયાસો ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.




