રાજકોટમાં હનુમંત કથા પહેલા વિવાદ, પરસોતમ પીપળીયાની પોલીસમાં રજૂઆત



રાજકોટમાં હનુમંત કથા પહેલા વિવાદ, પરસોતમ પીપળીયાની પોલીસમાં રજૂઆત



રાજકોટ રાજકોટમાં યોજાનારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને વિવાદનો માહોલ સર્જાયો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અગાઉ કરેલી અરજીઓ અંગે પોલીસ સાથે ચર્ચા કરી હતી. આ મામલે તેમણે મીડિયા સમક્ષ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાના આયોજનને લઈને સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાએ ગુરુવારના રોજ એ-ડિવિઝન પોલીસને લેખિત અરજી કરી હતી. અરજીના અનુસંધાને પોલીસે તેમને ચર્ચા માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા.
પરસોતમ પીપળીયાએ પોલીસ સમક્ષ બે અલગ-અલગ અરજીઓ કરી હોવાનું જણાવ્યું હતું. પ્રથમ અરજીમાં તેમણે હનુમંત કથાના અંતિમ દિવસે યોજાનારા કથિત "દિવ્ય દરબાર" કાર્યક્રમને મંજૂરી ન આપવા માંગ કરી છે. જ્યારે બીજી અરજીમાં પોતાના માટે પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે તેમને હનુમંત કથા અથવા સનાતન ધર્મનો કોઈ વિરોધ નથી. તેમનો વિરોધ માત્ર કથાના નામે યોજાનારા કથિત "પ્રેત દરબાર" અથવા "દિવ્ય દરબાર" સામે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સનાતન પરંપરાનો ભાગ તરીકે હનુમંત કથાનો વિરોધ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. કથાના આયોજકો દ્વારા મીડિયાના માધ્યમથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું, પરંતુ હજુ સુધી કોઈ લેખિત આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમ જણાવ્યું હતું.




