રાજકોટમાં સમાધાન બેઠક બની જીવલેણ, ફોટો ફ્રેમ કારખાનેદાર પર હુમલો



રાજકોટમાં સમાધાન બેઠક બની જીવલેણ, ફોટો ફ્રેમ કારખાનેદાર પર હુમલો



રાજકોટ રાજકોટમાં ધંધાકીય હરિફાઈના વિવાદે જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું છે. ફોટો ફ્રેમ બનાવવાનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ દેવજીભાઈ જાદવને આરોપી સુનિલ પરમારે સમાધાનની વાતચીત કરવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. જોકે, સમાધાનની ચર્ચા દરમિયાન અચાનક ત્યાં હાજર 6 જેટલા શખ્સોએ પ્રકાશભાઈ પર હુમલો કરી દીધો હતો.
હુમલામાં પ્રકાશભાઈ જાદવ અને વિજયભાઈ જાદવને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ જાદવનું મોત નીપજ્યું હતું.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ બચવા માટે પોલીસમાં ખોટી ફરિયાદ પણ નોંધાવી છે. પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મૃતકના ભાઈ રાહુલ જાદવે જણાવ્યું કે પ્રકાશભાઈને સમાધાનના બહાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પૂર્વયોજિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે પોલીસ પાસે આરોપીઓને તાત્કાલિક ઝડપી કડક સજા કરવાની માંગ કરી છે.
હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




