પરબધામ દર્શને જતી મેજિક પલ્ટી ખાઈ, 8થી 10 મુસાફરો ઇજાગ્રસ્ત; બેની હાલત ગંભીર



પરબધામ દર્શને જતી મેજિક પલ્ટી ખાઈ, 8થી 10 મુસાફરો ઇજાગ્રસ્ત; બેની હાલત ગંભીર



રાજકોટ ભેસાણ તાલુકાના ભટગામ નજીક પરબધામ દર્શન માટે જઈ રહેલી એક મેજિક ગાડી અકસ્માતનો ભોગ બની હતી. રોડ સાઇડના ખાડામાં વાહન ઉતરી જતાં 8થી 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ભેસાણ તાલુકાના ભટગામ નજીક રવિવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેતપુરથી પરબધામ દર્શન માટે જઈ રહેલી મેજિક ગાડી અચાનક રોડ સાઇડના ખાડામાં ઉતરી જતાં પલ્ટી મારી હતી.
અકસ્માતમાં વાહનમાં સવાર 8થી 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરીને ઇજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.




