પોરબંદરમાં શિક્ષણ વિભાગની બેદરકારી, બાલવાટિકાની મંજૂરી વિના વર્ગો ચલાવી વિદ્યાર્થીઓનું વર્ષ બગાડ્યું



પોરબંદરમાં શિક્ષણ વિભાગની બેદરકારી, બાલવાટિકાની મંજૂરી વિના વર્ગો ચલાવી વિદ્યાર્થીઓનું વર્ષ બગાડ્યું



Porbanadar News: પોરબંદરના શિક્ષણ જગતમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કે.બી. તાજાવાલા ગુજરાતી માધ્યમ શાળા દ્વારા સરકારની સત્તાવાર મંજૂરી વિના બાલવાટિકાના વર્ગો ચલાવવામાં આવ્યા હોવાનો આરોપ ઉઠ્યો છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે.
માહિતી મુજબ, વર્ષ 2025-26 દરમિયાન બાલવાટિકામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના યુનિક આઈડી (UID) સરકારી પોર્ટલ પર જનરેટ કરવામાં આવ્યા નહોતા. શાળાને બાલવાટિકા ચલાવવાની મંજૂરી ન હોવાથી વિદ્યાર્થીઓની કોઈ સરકારી નોંધ થઈ નહોતી.
આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓએ નિયમિત ફી ભરીને સમગ્ર વર્ષ અભ્યાસ કર્યો હોવા છતાં શાળાએ તેમને મંજૂરી અંગેની હકીકતથી અજાણ રાખ્યા હતા. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પરિણામપત્રક, ફી પહોંચ અને બાલવાટિકા પાસનું લીવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું, પરંતુ સરકારી રેકોર્ડમાં તેમની કોઈ નોંધ જોવા મળી નહોતી.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે વિદ્યાર્થીઓ અન્ય શાળામાં પ્રવેશ લેવા ગયા અને UID ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વાલીઓએ પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગને માગ કરી છે કે, બાળકોનો બાલવાટિકાનો અભ્યાસ માન્ય ગણવામાં આવે અને શાળાની બેદરકારીના કારણે તેમનું એક વર્ષ બગડે નહીં તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.




