PM મોદીના આગમન પૂર્વે સુરત સજ્જ: CR પાટીલની આગેવાનીમાં 800 સ્થળોએ મેગા સ્વચ્છતા અભિયાન



PM મોદીના આગમન પૂર્વે સુરત સજ્જ: CR પાટીલની આગેવાનીમાં 800 સ્થળોએ મેગા સ્વચ્છતા અભિયાન



સુરત: વિશ્વ પર્યાવરણ દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર-20ના ઉમરાવનગર વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. શહેરના આશરે 800 સ્થળો અને 26 કિલોમીટર લાંબા માર્ગો પર મહા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા ક્ષેત્રે સુરતને દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું છે અને આ ગૌરવ જળવાઈ રહે તે માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે. તેમણે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો.
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ આશરે ₹18,000 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેના પગલે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાનના કારણે દેશભરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધી છે. સુરત મહાનગરપાલિકા, સફાઈ કર્મચારીઓ, ભાજપ કાર્યકરો અને જાગૃત નાગરિકોના સહકારથી સુરતે દેશનું સૌથી સ્વચ્છ શહેર બનવાનો ગૌરવ મેળવ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી સુરત મહાનગરપાલિકા અને ભાજપના કાર્યકરો દ્વારા શહેરભરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઉમરાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લઈ શ્રમદાન કર્યું હતું.




