Seva Sankalp Abhiyan : વડનગરથી વારાણસી બાઈક યાત્રાનો બીજો દિવસ, ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત

Seva Sankalp Abhiyan : વડનગરથી વારાણસી સુધી નીકળેલી 'સેવા સંકલ્પ અભિયાન' બાઈક યાત્રા આજે બીજા દિવસે ખેડા જિલ્લામાં પ્રવેશી છે. કનીજ ગામ ખાતે પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ બાઈક સાથે જોડાયા હતા.

ખેડા જિલ્લામાં પ્રવેશ્યા બાદ બાઈક યાત્રા કનીજ, ખાત્રજ અને કમળા ચોકડી થઈને નડિયાદ તરફ આગળ વધશે. નડિયાદ પહોંચ્યા બાદ યાત્રા સંતરામ મંદિર જશે. અહીં હર્ષ સંઘવી દિવ્ય અખંડ જ્યોતિ અને સમાધિના દર્શન કરી મંદિરના મહંત રામદાસ મહારાજ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ નડિયાદના દેસાઈ વગામાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લેવામાં આવશે.

આ પછી યાત્રા ઉત્તરસંડા થઈ આણંદ જિલ્લામાં પ્રવેશ કરશે. સેવા અને જનજાગૃતિના સંકલ્પ સાથે આયોજિત આ યાત્રા વડનગરથી શરૂ થઈ વારાણસી સુધી જશે. આ સેવા યાત્રા માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં મોટી સંખ્યામાં બાઈકસવારો જોડાઈ રહ્યા છે.

વડનગર ખાતે 17 સપ્ટેમ્બરે બાઈક યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે 250થી વધુ બાઈકર્સ યાત્રામાં જોડાયા હતા.

તમને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે યાત્રા નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. વરસાદી માહોલ વચ્ચે પણ યાત્રિકો અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક યાત્રામાં આગળ વધી રહ્યા છે.





