લોકગાયિકા કિંજલ રબારીના છૂટાછેડા વિવાદમાં નવો વળાંક, પતિએ નોંધાવી હુમલાની ફરિયાદ



લોકગાયિકા કિંજલ રબારીના છૂટાછેડા વિવાદમાં નવો વળાંક, પતિએ નોંધાવી હુમલાની ફરિયાદ



Kinjal Rabari Controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં સામાજિક દબાણના કારણે બંને પરસ્પર સહમતિથી અલગ થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
અલગ થયા બાદ કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ મામલે 15 જૂનના રોજ કોર્ટમાં સુનાવણીની મુદ્દત હતી. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને પરત ફરી રહેલા અશોક ચૌધરી સાથે અપ્રિય ઘટના બન્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અશોક ચૌધરીના જણાવ્યા મુજબ, કોર્ટમાંથી પરત ફરતી વખતે તેમની ગાડીને કેટલાક શખ્સોએ ઘેરી લીધી હતી. હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા ચાર જેટલા લોકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
અશોક ચૌધરીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કિંજલ રબારી સાથેના છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવા માટે તેમના પર સતત દબાણ કરવામાં આવતું હતું. તેમણે દાવો કર્યો છે કે, કિંજલ રબારીના પરિવારજનો દ્વારા અવારનવાર છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ સમગ્ર ઘટનાને લઈને અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશનમાં કિંજલ રબારીના પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ મામલે અન્ય પક્ષ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.




