FootHealth: ટાઇટ જૂતા હોય કે હાઈ હીલ, પગમાં શું પહેરો છો તેની અસર આખા શરીર પર પડે છે; જાણો યોગ્ય ફૂટવેર કેવી રીતે પસંદ કરવું



Foot Health
FootHealth: ટાઇટ જૂતા હોય કે હાઈ હીલ, પગમાં શું પહેરો છો તેની અસર આખા શરીર પર પડે છે; જાણો યોગ્ય ફૂટવેર કેવી રીતે પસંદ કરવું



Foot Health
Foot Health: આપણે કપડાં, હેરસ્ટાઇલ અને ફિટનેસ પર ઘણું ધ્યાન આપીએ છીએ, પરંતુ પગમાં શું પહેરી રહ્યા છીએ તેના પર ઘણીવાર પૂરતું ધ્યાન આપતા નથી. જૂતા કે ચપ્પલ ખરીદતી વખતે ડિઝાઇન, રંગ અને કિંમતને મહત્વ આપવામાં આવે છે, પરંતુ વિજ્ઞાન અનુસાર ફૂટવેર માત્ર ફેશનનો ભાગ નથી. તેનો સીધો સંબંધ પગની ચાલ, તેના પર પડતા દબાણ અને શરીરના નીચેના ભાગની મૂવમેન્ટ સાથે છે. ખોટા સાઇઝ કે ખોટી ડિઝાઇનના જૂતા લાંબા સમય સુધી પહેરવાથી પગમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
ટાઇટ જૂતા પહેરવાથી શું થાય?
જો જૂતા પગ કરતાં નાના અથવા ખૂબ ટાઇટ હોય તો પગની આંગળીઓને યોગ્ય જગ્યા મળતી નથી. તેના કારણે આંગળીઓ પર સતત દબાણ રહે છે. લાંબા સમય સુધી આવું થવાથી પગમાં દુખાવો, છાલા, કૉર્ન અને ચામડી જાડી થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
માત્ર સાઇઝ નહીં, જૂતાની પહોળાઈ પણ મહત્વની
ઘણા લોકો જૂતા ખરીદતી વખતે માત્ર પગ તેમાં આવી જાય છે કે નહીં તે જુએ છે. પરંતુ જૂતાની પહોળાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આગળથી ખૂબ સાંકડા જૂતા પહેરવાથી આંગળીઓ એકબીજા પર દબાઈ શકે છે. જેના કારણે ચાલવામાં તકલીફ અને પગમાં દુખાવો થઈ શકે છે. તેથી એવું ફૂટવેર પસંદ કરવું જોઈએ જેમાં પગની આંગળીઓને થોડી ફેલાવાની જગ્યા મળે.
હાઈ હીલથી પગ જ નહીં, ઘૂંટણ પર પણ અસર
જો તમે સતત હાઈ હીલ પહેરો છો તો તેની અસર માત્ર પગ સુધી મર્યાદિત રહેતી નથી. સંશોધનમાં હાઈ હીલને પગની રચનામાં ફેરફાર, મસ્ક્યુલોસ્કેલેટલ દુખાવો અને ઈજાના વધેલા જોખમ સાથે જોડવામાં આવી છે. એક મેટા-એનાલિસિસમાં પણ જોવા મળ્યું કે ઊંચી હીલ પહેરીને ચાલતી વખતે ઘૂંટણ પર પડતા કેટલાક લોડ અને મૂવમેન્ટ વધી શકે છે. જોકે, તેનો અર્થ એવો નથી કે ક્યારેક હીલ પહેરવી દરેક વ્યક્તિ માટે નુકસાનકારક છે. પરંતુ દરરોજ લાંબા સમય સુધી હાઈ હીલ પહેરવાથી પગની સમસ્યાનું જોખમ વધી શકે છે.
ખોટા ફૂટવેરથી ચાલવાની રીત પણ બદલાઈ શકે
આપણા પગ જમીન પર શરીરનું વજન સંભાળે છે. જૂતાનો આકાર અને ડિઝાઇન બદલાય ત્યારે ચાલવાની રીતમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. જો જૂતા યોગ્ય રીતે ફિટ ન હોય તો પગને સામાન્ય સ્થિતિમાં રાખવામાં મુશ્કેલી પડી શકે છે. આ કારણે લાંબા સમય સુધી ખોટા ફૂટવેર પહેરવાથી દુખાવો અથવા અસહજતા અનુભવાઈ શકે છે.
કેવા જૂતા પહેરવા જોઈએ?
વિજ્ઞાન અનુસાર જૂતા એવા હોવા જોઈએ જેમાં પગ આરામથી રહી શકે. આંગળીઓ પર વધારે દબાણ ન આવે, એડી વારંવાર જૂતામાંથી બહાર ન નીકળે અને ચાલતી વખતે કોઈ તકલીફ ન થાય. જો જૂતા પહેર્યા બાદ થોડા સમય પછી જ પગમાં દુખાવો, બળતરા કે દબાણ અનુભવાય તો તેને નજરઅંદાજ ન કરવું જોઈએ.
નોંધ: ફૂટવેરની અસર વ્યક્તિની પગની રચના, ઉપયોગના સમય અને અન્ય પરિબળો પર આધારિત હોઈ શકે છે. સતત દુખાવો કે અન્ય તકલીફ રહે તો નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.




