Nithari Case : નિઠારી હત્યાકાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કર્યો આપઘાત, મૃતદેહ ચાની દુકાનમાંથી મળી આવ્યો


Nithari Case
Nithari Case : નિઠારી હત્યાકાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કર્યો આપઘાત, મૃતદેહ ચાની દુકાનમાંથી મળી આવ્યો


Nithari Case
Nithari Case : નિઠારી હત્યાકાંડના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીનો મૃતદેહ હરિદ્વારમાંથી મળી આવ્યો છે. કોલીનો મૃતદેહ તેની ચાની દુકાનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં સપ્ત સરોવર રોડ પર લાલમાતા મંદિર સામે બની હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
મળતી માહિતી મુજબ, સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં ચાની દુકાન ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેની ચાની દુકાનમાં જ દોરડાના સહારે તેનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સપ્તઋષિ પોલીસ ચોકીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ સુરેન્દ્ર કોલી અલ્મોડા જિલ્લાના ભિકિયાસૈણ વિસ્તારના મંગરુખાલ ગામનો રહેવાસી હતો. પોલીસે તેના પરિવારજનોને ઘટનાની જાણ કરી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
શું હતો સમગ્ર કેસ?
ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં સામે આવેલા નિઠારી હત્યાકાંડથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. નોઈડાના નિઠારી વિસ્તારમાં મોનિન્દર સિંહ પંઢેરની કોઠીની પાછળ આવેલા નાળામાંથી બાળકો અને મહિલાઓના કંકાલ મળી આવ્યા હતા. આ મામલે પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તપાસ CBIને સોંપવામાં આવી હતી. સુરેન્દ્ર કોલી સામે અનેક કેસોમાં આરોપો મૂકવામાં આવ્યા હતા. જોકે, વિવિધ અદાલતોમાં થયેલી કાર્યવાહી દરમિયાન તેને મોટાભાગના કેસોમાં રાહત મળી હતી.
સુપ્રીમે સજા રદ કરવાનો આદેશ આપ્યો હતો
11 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કોલીને સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કરી તેની સજા રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તપાસમાં રહેલી ગંભીર ખામીઓ અને પૂરતા પુરાવાના અભાવને ધ્યાનમાં લીધા હતા. હવે સુપ્રીમ કોર્ટમાંથી મુક્ત થયાના થોડા સમય બાદ હરિદ્વારમાં તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. મોતનું ચોક્કસ કારણ અને ઘટનાની પરિસ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Aatmanirbhar Bharat: HAL વાયુસેનાને LCA તેજસ જેટ, ટ્રેનર એરક્રાફ્ટ અને ધ્રુવ હેલિકોપ્ટર સોંપશે





