Get News Alerts

Never miss breaking news updates.

Gir Somnath ના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પુત્ર જેલમાં કાપી રહ્યો છે સજા

Gir Somnath જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બિજલભાઈ ભાલિયાના પાકિસ્તાનની જેલમાં મોતના સમાચાર સામે આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 02:34 PM IST
Gir Somnath ના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પુત્ર જેલમાં કાપી રહ્યો છે સજાGir Somnath ના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પુત્ર જેલમાં કાપી રહ્યો છે સજા

Gir Somnath

Gir Somnath : પાકિસ્તાનની જેલમાંથી પરિવારને મળેલા એક પત્ર મારફતે બિજલભાઈના મોતની જાણકારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બિજલભાઈ ભાલિયા અને તેમનો પુત્ર છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં કેદ હતા.

પિતા-પુત્ર માછીમારી માટે દરિયામાં ગયા હતા, તે દરમિયાન પાકિસ્તાન મરીન દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને પાકિસ્તાન લઈ જઈ જેલમાં રાખવામાં આવ્યા હતા.

કોબ ગામમાં શોકનો માહોલ

લાંબા સમયથી પોતાના પરિવારથી દૂર જેલમાં કેદ પિતા-પુત્રમાંથી હવે પિતાના મોતના સમાચાર આવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર માટે આ સમાચાર અત્યંત આઘાતજનક બન્યા છે, કારણ કે લાંબા સમયથી તેઓ બિજલભાઈની પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા.

પરિવારને મળેલા પત્રમાં બિજલભાઈ ભાલિયાનું પાકિસ્તાનની લાડી જેલમાં મોત થયું હોવાની માહિતી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે તેમના મોતનું ચોક્કસ કારણ શું છે અને કઈ પરિસ્થિતિમાં તેમનું મૃત્યુ થયું તે અંગે હજુ વધુ સત્તાવાર માહિતી સામે આવવાની બાકી છે.

જેલમાંથી આવ્યો માછીમારના મોતનો પત્ર

માછીમાર પરિવારો માટે દરિયામાં સરહદની ઓળખ ન રહેવી અને ભૂલથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાર થઈ જવી અનેક વખત મુશ્કેલીનું કારણ બને છે. આવી ઘટનાઓમાં બંને દેશોના માછીમારોની ધરપકડ થતી રહે છે અને તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે છે.

બિજલભાઈના પરિવારજનો હવે સરકાર સમક્ષ મહત્વની માગ કરી રહ્યા છે કે બિજલભાઈનો મૃતદેહ વહેલી તકે ભારત પરત લાવવામાં આવે, જેથી પરિવારજનો અંતિમ દર્શન કરી શકે અને તેમના અંતિમ સંસ્કાર પોતાના વતનમાં કરી શકે. સાથે જ પરિવાર માટે તેમના પુત્રની સ્થિતિ અંગે પણ ચિંતા વધી છે.

મૃતદેહ ભારત લાવવાની પરિવારની માગ

પિતા-પુત્ર બંને લાંબા સમયથી પાકિસ્તાનની કેદમાં હતા અને હવે પિતાના મોતના સમાચાર બાદ પુત્રની સુરક્ષા તથા તેની ભારત વાપસી અંગે પણ પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી છે. કોબ ગામ સહિત સમગ્ર ગીર સોમનાથ પંથકમાં આ સમાચારથી દુઃખની લાગણી જોવા મળી રહી છે.

માછીમાર પરિવારના સ્વજનો સરકાર અને સંબંધિત સત્તાધીશો પાસે બિજલભાઈના મૃતદેહને માનવીય ધોરણે વહેલી તકે ભારત પરત લાવવા તેમજ પાકિસ્તાનમાં કેદ તેમના પુત્રની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દરિયામાં રોજગારી માટે ગયેલા એક ગુજરાતી માછીમારના પાકિસ્તાનની જેલમાં થયેલા મોતના સમાચારોએ ફરી એકવાર સરહદી માછીમારોની મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.

આ પણ વાંચો : NASA : અવકાશમાં ખુલી રહી છે એક નવી આંખ, Nancy Grace Roman Space Telescope બ્રહ્માંડના રહસ્યોની શોધ માટે તૈયાર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.