Revenue Amendment Bill 2026: ખેડૂતો માટે મોટી રાહત: ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2026 વિધાનસભામાં પસાર



Gujarat Land Revenue Amendment Bill 2026
Revenue Amendment Bill 2026: ખેડૂતો માટે મોટી રાહત: ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2026 વિધાનસભામાં પસાર



Gujarat Land Revenue Amendment Bill 2026
Gujarat Land Revenue Amendment Bill 2026: ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના હિતમાં મહત્વપૂર્ણ જોગવાઈ ધરાવતું ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ ગુજરાત વિધાનસભામાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે આ વિધેયક રજૂ કર્યું હતું.
સાચા વેચાણ દસ્તાવેજોની નોંધ હવે તે જ દિવસે
સુધારા વિધેયકમાં ‘સેમ ડે સર્ટિફિકેશન’ની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તેની નોંધ પાડીને તે જ દિવસે પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી જમીન વેચાણ વ્યવહાર બાદ નોંધ પ્રમાણિત કરાવવા માટે ખેડૂતો અને નાગરિકોએ લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે.
બિનજરૂરી વાંધાઓ અને વિલંબ પર લગામ
મહેસૂલ વિભાગના જણાવ્યા મુજબ સરકારી પ્રક્રિયાની જટિલતાનો લાભ લઈને કેટલાક તત્વો બિનજરૂરી અરજીઓ અને બોગસ વાંધાઓ ઊભા કરતા હોવાની રજૂઆતો મળી હતી. જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આવા બિનજરૂરી વિલંબને દૂર કરવા અને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ તથા પારદર્શક બનાવવા આ કાયદાકીય સુધારો કરવામાં આવ્યો છે.
કોર્ટ કે સક્ષમ સત્તાના આદેશથી નોંધમાં પણ ઝડપ
કોઈ ફેરફાર નોંધ સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલના આદેશ કે હુકમના આધારે કરવાની હોય ત્યારે પણ નોટિસ આપ્યા વગર હુકમ પ્રાપ્ત થતાં જ નોંધ પાડીને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી કોર્ટ અથવા સક્ષમ સત્તાના આદેશના અમલમાં પણ બિનજરૂરી વિલંબ ઘટાડવાનો હેતુ છે.
ઈ-ધરા બાદ હવે કાયદાકીય સુધારાથી પારદર્શિતા
જમીન વહીવટમાં ડિજિટલ માધ્યમથી પારદર્શિતા લાવવા ઈ-ધરા જેવી વ્યવસ્થાઓ બાદ હવે આ કાયદાકીય સુધારા દ્વારા પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારનો હેતુ વચેટિયાઓ અને નાગરિકોને બિનજરૂરી રીતે હેરાન કરતા તત્વોના રસ્તા બંધ કરવાનો હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે પ્રજાલક્ષી પગલું
આ સુધારો કાયદેસર હક ધરાવતા ‘જેન્યુઇન બાયર’ એટલે કે સાચા ખરીદનારાઓને લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે. નોંધ પ્રમાણિત કરવાની પ્રક્રિયા અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓને આધીન રહીને ઝડપી પૂર્ણ કરવાનો હેતુ છે. રાજ્ય સરકાર દ્વારા આ નીતિના અમલ માટે અગાઉ વટહુકમ લાવવામાં આવ્યો હતો અને હવે વિધાનસભામાં વિધેયક પસાર થતાં તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ પગલાથી ખેડૂતો, મધ્યમ વર્ગ અને કાયદેસર જમીન વ્યવહાર કરનારા નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



