Get News Alerts

Never miss breaking news updates.

Arvalli Rain : મોડાસામાં મેઘો મુશળધાર, બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી બસપોર્ટ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Arvalli Rain : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 18 Sep 2026 08:39 AM IST
Arvalli Rain : મોડાસામાં મેઘો મુશળધાર, બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી બસપોર્ટ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાArvalli Rain : મોડાસામાં મેઘો મુશળધાર, બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી બસપોર્ટ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Arvalli Rain

Arvalli Rain : માત્ર બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસતાં મોડાસા બસપોર્ટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અચાનક પડેલા ભારે વરસાદના કારણે મોડાસા બસપોર્ટ વિસ્તારમાં પાણી ભરાતાં વેપારીઓ અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બસપોર્ટ પર આવનારા મુસાફરો તેમજ આસપાસના વેપારીઓ માટે પાણી ભરાવાની સ્થિતિ મુશ્કેલીરૂપ બની હતી. મોડાસા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નવી નથી. ભારે વરસાદ પડતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ખાસ કરીને બસપોર્ટ વિસ્તાર જેવા મહત્વના જાહેર સ્થળે પાણી ભરાતાં પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ફરી ઉઠી છે.

અઢી ઇંચ વરસાદે મોડાસાની વ્યવસ્થા ધોઈ નાખી?

સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે દર વખતે ભારે વરસાદ બાદ મુશ્કેલી ઊભી થાય છે. વેપારીઓને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને ગ્રાહકોની અવરજવર પર પણ તેની અસર જોવા મળે છે. પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે તો વેપાર-ધંધાને પણ નુકસાન થવાની ચિંતા રહે છે. મોડાસામાં અદ્યતન બસપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત રહેતા તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે, બસપોર્ટ જેવા મહત્વના સ્થળે પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. ભારે વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

મોડાસા બસપોર્ટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન

વરસાદનું પ્રમાણ વધે ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા વધુ પડકારરૂપ બની શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ, વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો અને સમયસર સફાઈની કામગીરી જરૂરી બની રહે છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ સંબંધિત તંત્ર સમક્ષ પાણી ભરાવાની જૂની સમસ્યાનો કાયમી નિકાલ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે માત્ર વરસાદ દરમિયાન પાણી હટાવવાની કામગીરી કરવાને બદલે પાણી ક્યાંથી આવે છે અને તેનો નિકાલ ક્યાં અને કેવી રીતે થાય છે તેની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

હાલમાં મોડાસામાં ભારે વરસાદ બાદ બસપોર્ટ વિસ્તારની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. આગામી સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને બસપોર્ટ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે કે નહીં, તેના પર સ્થાનિકોની નજર રહેશે.

આ પણ વાંચો : Ahmedabad Rain : અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી ભારે વરસાદ, સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ અપાયું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે