Ahmedabad : 20 સપ્ટેમ્બરે યોજાશે બે પરીક્ષાઓ, પરીક્ષા કેન્દ્રોની આસપાસ રહેશે આ પ્રતિબંધો


Ahmedabad
Ahmedabad : 20 સપ્ટેમ્બરે યોજાશે બે પરીક્ષાઓ, પરીક્ષા કેન્દ્રોની આસપાસ રહેશે આ પ્રતિબંધો


Ahmedabad
Ahmedabad : અમદાવાદ શહેરમાં 20 સપ્ટેમ્બર, 2026ના રોજ બે અલગ-અલગ પરીક્ષાઓ યોજાવાની હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે જાહેરનામું બહાર પાડ્યું છે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પરીક્ષાનું સુચારૂ સંચાલન થઈ શકે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ કેટલાક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
176 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2026 યોજાશે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં 89 કેન્દ્રો અને પશ્ચિમ વિસ્તારમાં 87 પેટા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા સવારે 10:30થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે.
કંડક્ટર અને હેલ્પર કક્ષાની OMR લેખિત પરીક્ષા યોજાશે
આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પેશિયલ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત કંડક્ટર અને હેલ્પર કક્ષાની OMR લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા સવારે 11થી બપોરે 12 વાગ્યા અને બપોરે 2થી સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદના ત્રણ અલગ-અલગ કેન્દ્રો પર લેવામાં આવશે. જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રથી એક કિલોમીટરની ત્રિજ્યામાં ઝેરોક્સ સેન્ટરો અને દુકાનો ચાલુ રાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે
પરીક્ષા સ્થળોની આસપાસ મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવા, અનધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ, ગેરરીતિ માટે ઉપયોગમાં આવી શકે તેવી સામગ્રી લઈ જવા તેમજ હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. સક્ષમ અધિકારી સિવાયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોબાઈલ તથા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા સ્થળે લઈ જવા પર પણ રોક રહેશે.
આ ઉપરાંત જાહેર વાહન વ્યવહારને અવરોધ થાય તે રીતે પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શિક્ષક અભિરુચિ કસોટી માટે આ હુકમ 20 સપ્ટેમ્બરે સવારે 8:30થી રાત્રે 8 વાગ્યા સુધી અને દિવ્યાંગ ઉમેદવારોની પરીક્ષા માટે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Amreli : જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં રાહતની લાગણી





