Get News Alerts

Never miss breaking news updates.

Nishkalank Mahadev: દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવ, ઓટમાં થાય છે ભોળાનાથનો જળાભિષેક

Nishkalank Mahadev: ભાવનગરથી આશરે 30 કિલોમીટર દૂર કોળિયાક ગામના દરિયાકાંઠે સમુદ્રની વચ્ચે બિરાજમાન નિષ્કલંક મહાદેવનું ધામ શ્રદ્ધા, આસ્થા અને પૌરાણિક માન્યતાઓનું અનોખું સંગમ છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 03:52 PM IST
Nishkalank Mahadev: દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવ, ઓટમાં થાય છે ભોળાનાથનો જળાભિષેકNishkalank Mahadev: દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવ, ઓટમાં થાય છે ભોળાનાથનો જળાભિષેક

Nishkalank Mahadev

Nishkalank Mahadev: ભાવનગરથી આશરે 30 કિલોમીટર દૂર કોળિયાક ગામના દરિયાકાંઠે સમુદ્રની વચ્ચે બિરાજમાન નિષ્કલંક મહાદેવનું ધામ શ્રદ્ધા, આસ્થા અને પૌરાણિક માન્યતાઓનું અનોખું સંગમ છે. અહીં કોઈ ભવ્ય મંદિર જોવા મળતું નથી, પરંતુ દરિયાની વચ્ચે આવેલા શિવલિંગના દર્શન કરવા માટે હજારો ભક્તો ઓટના સમયે સમુદ્રમાં પગપાળા આગળ વધે છે. દરિયાની વચ્ચે ભગવાન શિવના દર્શનનો આ આધ્યાત્મિક અનુભવ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

દરિયાની વચ્ચે બિરાજે છે મહાદેવ

નિષ્કલંક મહાદેવની સૌથી વિશેષ વાત એ છે કે અહીં શિવલિંગ સમુદ્રની વચ્ચે આવેલું છે. ઓટના સમયે દરિયાનું પાણી પાછળ હટતાં ભક્તો આશરે એક કિલોમીટર સુધી દરિયામાં ચાલીને શિવલિંગ સુધી પહોંચી શકે છે. ભરતી આવતા ફરી સમુદ્રનું પાણી શિવલિંગને પોતાના પ્રવાહમાં સમાવી લે છે.

જાણે સ્વયં થાય છે જળાભિષેક

લોકઆસ્થામાં અહીંનો દરિયો ભગવાન ભોળાનાથનો સ્વયં જળાભિષેક કરે છે તેવી અનુભૂતિ કરાવે છે. દિવસમાં બે વખત ઓટ-ભરતીના કુદરતી ચક્ર સાથે શિવલિંગનું દર્શન થતું અને ફરી પાણીમાં સમાઈ જતું હોવાથી આ સ્થળની ધાર્મિક વિશેષતા વધુ વધી જાય છે.

ભાદરવી અમાસે ઉમટે છે લાખો ભક્તો

શ્રાવણ માસ દરમિયાન તેમજ ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ કોળિયાક પહોંચે છે, પવિત્ર સમુદ્રસ્નાન કરે છે અને નિષ્કલંક મહાદેવના દર્શન કરે છે. માન્યતા છે કે અહીં સમુદ્રસ્નાન અને શિવદર્શન કરવાથી જીવનના કલંક દૂર થાય છે અને વ્યક્તિ ‘નિષ્કલંક’ બને છે.

પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા

નિષ્કલંક મહાદેવ સાથે મહાભારતકાળની પૌરાણિક કથા પણ જોડાયેલી છે. લોકવાયકા મુજબ, મહાભારતના યુદ્ધ બાદ પાંડવો કલંકમુક્તિ માટે પવિત્ર સ્થળની શોધમાં નીકળ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન મુજબ તેઓ ધજા લઈને આગળ વધ્યા અને કોળિયાકના દરિયાકાંઠે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હોવાનું કહેવાય છે.

પાંચ શિવલિંગની માન્યતા

કહેવાય છે કે પાંડવોએ અહીં સમુદ્રસ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને આ ભૂમિ પર તેમનું કલંક દૂર થયું હોવાની માન્યતા છે. લોકવાયકા અનુસાર, પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ આજે પણ અહીં બિરાજમાન છે.

શ્રદ્ધા અને પ્રકૃતિનો અદભુત સંગમ

નિષ્કલંક મહાદેવનું ધામ એક તરફ પૌરાણિક આસ્થા સાથે જોડાયેલું છે તો બીજી તરફ સમુદ્રના કુદરતી જ્વાર-ભાટા સાથે સંકળાયેલું અનોખું ધાર્મિક સ્થળ છે. ઓટના સમયે સમુદ્રમાંથી પસાર થઈને શિવલિંગના દર્શન કરવાની પરંપરા ભક્તોને વિશેષ આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આ કારણે કોળિયાકનું નિષ્કલંક મહાદેવ ધામ આજે પણ ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ વાંચો : Surat: ભેસ્તાન આવાસના લોકોનો કલેક્ટર કચેરીએ મોરચો, 10 વર્ષથી મકાનની રાહ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.