નસવાડીમાં સ્મશાન ઘાટનો રસ્તો બંધ થતાં ફરી હોબાળો, મામલતદાર અને પોલીસ સ્થળ પર પહોંચી



નસવાડીમાં સ્મશાન ઘાટનો રસ્તો બંધ થતાં ફરી હોબાળો, મામલતદાર અને પોલીસ સ્થળ પર પહોંચી



છોટા ઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અશ્વિન નદીના કિનારે આવેલા દલિત અને આદિવાસી સમાજના સ્મશાન ઘાટ જવાના રસ્તાને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ભંગારના વેપારી દ્વારા રસ્તા પર મોટા પ્રમાણમાં ભંગારના ઢગલા નાખી દેવાતા મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાન ઘાટ તરફ જતો મુખ્ય માર્ગ ભંગારના ઢગલાઓથી બંધ થઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા અગાઉ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે મામલતદારે વેપારીને રસ્તો ખુલ્લો કરવા કડક સૂચના આપી હતી. છતાં પણ રસ્તો ખુલ્લો ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ફરી હોબાળો મચ્યો હતો.
મામલો ગંભીર બનતા નસવાડી મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અધિકારીઓએ ભંગારના વેપારી સાથે ચર્ચા કરી હતી, જેમાં વેપારીએ રસ્તો ખુલ્લો કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો.
આ દરમિયાન મામલતદારે વેપારીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો બે દિવસમાં રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.




