નર્મદામાં સાંસદ-MLAના વડપણ હેઠળ 'નર્મદા ગ્રામ વિકાસ સમિતિ'ની રચના, યુવાનોમાં શિક્ષણ-વ્યસનમુક્તિ પર ભાર



નર્મદામાં સાંસદ-MLAના વડપણ હેઠળ 'નર્મદા ગ્રામ વિકાસ સમિતિ'ની રચના, યુવાનોમાં શિક્ષણ-વ્યસનમુક્તિ પર ભાર



Narmada Gram Vikas Samiti: નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામ પટેલ સહિત ભાજપાના અનેક આગેવાનોએ મળીને 'નર્મદા ગ્રામ વિકાસ સમિતિ' નામનું બિનરાજકીય સંગઠન બનાવ્યું છે. સમિતિના નેજા હેઠળ રાજપીપળા ખાતે 'યુવા શક્તિ સંગમ' નામે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, સમિતિની રચના નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ અને યુવા જાગૃતિના હેતુથી કરવામાં આવી છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના વિઝનમાં નર્મદાનો પણ મહત્વનો ફાળો રહે તે માટે શિક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, યુવાનોને મનોરંજન કરતાં વધુ શિક્ષણ, કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ તરફ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. સ્ટાર નાઇટ અથવા મનોરંજનના કાર્યક્રમો કરતાં યુવાનોની પ્રતિભા બહાર લાવવાના પ્રયાસો વધુ જરૂરી છે.
મનસુખ વસાવાએ વ્યસનમુક્તિ પર ભાર મૂકતા યુવાનોને દારૂ, ગુટખા અને ઈ-સિગારેટ જેવી લતોથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે, છેલ્લા 30 વર્ષથી તેઓ જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ સામે લડત ચલાવી રહ્યા છે અને આ દરમિયાન તેમના પર હુમલાઓ પણ થયા છે.
તેમણે જણાવ્યું કે, આ સંગઠન બિનરાજકીય છે, જેથી સમાજના પ્રશ્નો પર કોઈપણ પ્રકારના રાજકીય બંધન વિના ખુલ્લી ચર્ચા કરી શકાય. આ કાર્યક્રમ દરમિયાન તેમણે નર્મદા જિલ્લાના આદિવાસી યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીની ટીમની ગેરહાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી. જો કે, આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ચૈતર વસાવાના કેસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મનસુખ વસાવાએ જણાવ્યું કે, આ મામલો કોર્ટના ચુકાદા સાથે સંબંધિત છે અને તેમાં પક્ષની કોઈ ભૂમિકા નથી. તેમણે દાવો કર્યો કે, જો કોઈ વ્યક્તિ સાબિત કરે કે ભાજપ અથવા સરકારે ખોટો કેસ કરાવ્યો છે, તો તેઓ જાહેર જીવન છોડવા તૈયાર છે.




