નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો, 24 કલાકમાં 20 સેમી સપાટી વધી; હાલ 65 ટકા ભરાયો



નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો, 24 કલાકમાં 20 સેમી સપાટી વધી; હાલ 65 ટકા ભરાયો



Narmada Dam Water Level: ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.
હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 28,295 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના પરિણામે ડેમની જળસપાટી વધીને 126.62 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના આશરે 65 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.
વીજ ઉત્પાદનની દ્રષ્ટિએ પણ કામગીરી ચાલુ છે. નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ (RBPH)ના બે યુનિટ હાલમાં કાર્યરત છે અને તેમાંથી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદની સ્થિતિ અને પાણીની આવકને ધ્યાનમાં રાખીને નર્મદા નિયંત્રણ તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.




