મા-બાપ વિહોણી 101 દીકરીઓનું રાજ્યમંત્રીએ કર્યું કન્યાદાન, ધામધૂમથી સાસરે વળાવી



મા-બાપ વિહોણી 101 દીકરીઓનું રાજ્યમંત્રીએ કર્યું કન્યાદાન, ધામધૂમથી સાસરે વળાવી



ખેડાઃ નડિયાદમાં માનવતાનો મહાકુંભ જોવા મળ્યો છે. જેમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં 101 દીકરીઓના ધામધૂમથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસૂલમંત્રી સંજયસિંહ મહિડાએ 101 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું.
રાજ્યમંત્રીએ મા-બાપ વિહોણી 101 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું અને તેમને સાસરે વળાવી હતી. આ સમૂહલગ્નમાં 101 નવયુગલોને ટીવી, ફ્રિજ, એરકુલર, સોફાસેટ સહિત ઘરઘંટી જેવી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ સિવાય તમામ દીકરીઓને કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સમુહલગ્ન યોજના હેઠળ 24 હજાર જેટલી સરકારી યોજનાની સહાય પણ આપવામાં આવી હતી.
નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલી આડીનાર ચોકડી પાસે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનોને ભીષણ ગરમીથી બચાવવા એર કૂલર, ફુવારા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમૂહલગ્નના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા અને 101 નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.
આ અંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યુ હતુ કે, ‘આ ફક્ત લગ્ન નથી, પણ માનવતાનો ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નારીવંદના સંકલ્પને સાકાર કરી દીકરીઓને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ નમ્ર પ્રયાસ છે.’




