રણછોડજી મંદિરમાં મનોરથના ભાવવધારાનો વિવાદ, વિરોધ થતાં 2 મહિના માટે સ્થગિત કર્યો



રણછોડજી મંદિરમાં મનોરથના ભાવવધારાનો વિવાદ, વિરોધ થતાં 2 મહિના માટે સ્થગિત કર્યો



ડાકોરઃ રણછોડજી મંદિરના ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડજી મંદિરમાં થોડા દિવસ પહેલાં મનોરથમાં ભાવવધારો કરવામાં આવ્યો હતો. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથના ભાવ અંદાજે ચાર ગણા જેટલા વધારી દેવામાં આવ્યા હતા.
મનોરથના ભાવવધારા બાબતે સેવક પૂજારીઓ અને ભક્તોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા સેવક-પૂજારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ડાકોર ટેમ્પલ કમિટીના નવનિયુક્ત ટ્રસ્ટી ગિરીશભાઈ દાણી હાજર રહ્યા હતા. જ્યાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચાના અંતે ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મનોરથોના ભાવવધારાને બે મહિના માટે મોકૂફ કરવામાં આવ્યો છે. આ ભાવવધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હતો. ડાકોરના રોડ-રસ્તાની પરિસ્થિતિ આંખે વળગે છે.
તો બીજી તરફ મંદિરના સેવક પૂજારી જગદીશભાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, નવા નિમાયેલા ટ્રસ્ટીને કંઈ જ ખબર નથી. ટ્રસ્ટીએ બે મહિનાનો સમય માગ્યો છે, તે સમય દરમિયાન અમે અમારા સૂચનો રજૂ કરીશું. બે મહિના બાદ પણ જો મનોરથના ભાવમાં વધારો થશે તો અમે ભૂખ હડતાળ પર બેસીશું.




