સાંસદ મનસુખ વસાવાનો આમ આદમી પાર્ટી પર પ્રહાર, કહ્યુ - ચૈતર વસાવાનો રાજકીય મહોરા તરીકે ઉપયોગ



સાંસદ મનસુખ વસાવાનો આમ આદમી પાર્ટી પર પ્રહાર, કહ્યુ - ચૈતર વસાવાનો રાજકીય મહોરા તરીકે ઉપયોગ



Mansukh Vasava Attacked on AAP: નર્મદાના પૂર્વ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે પ્રતિક્રિયા આપતા AAPના નેતાઓ અને સંગઠન પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા સહિત અન્ય નવ લોકોને સજા થતાં દુઃખ થાય છે. આ કેસમાં એક નાની બાળકીને પણ સજા થઈ હોવાનું દુઃખદ હોવાનું તેમણે કહ્યું. જો કે, તેમણે AAPના નેતાઓને સવાલ કર્યો કે, જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન હતો અને કેસ ચાલી રહ્યો હતો. ત્યારે ચૈતર વસાવા માટે સારા વકીલોની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી અને તેમની કાનૂની લડત અંગે પૂરતી ચિંતા કેમ કરવામાં આવી નહોતી.
તેમણે કહ્યું કે, હવે AAPના નેતાઓ અને કાર્યકરો ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેઓ ક્યાં હતા, તે પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, ચૈતર વસાવા સરકાર સાથે સતત સંપર્કમાં હતા. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાતો કરતા હતા. તેમજ પોતાના વિસ્તારના વિકાસના કામો પણ કરાવતા હતા.
મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, ચૈતર વસાવા મુશ્કેલીમાં હતા, ત્યારે આમ આદમી પાર્ટી તેમની સાથે ઉભી રહી નહોતી અને હવે તેમને રાજકીય મોહરા તરીકે ઉપયોગ કરીને પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હવે દિલ્હીના નેતાઓ અને વકીલો કેસ લડવા માટે આગળ આવી રહ્યા છે, પરંતુ કેસની સુનાવણી દરમિયાન તેઓ કેમ સક્રિય ન હતા તે પ્રશ્ન પ્રજાના મનમાં છે.
તેમણે દાવો કર્યો કે, AAP દ્વારા સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અંતે મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા એક ભોળા અને સરળ સ્વભાવના વ્યક્તિ છે, પરંતુ પાર્ટીના કેટલાક લોકો તેમને રાજકીય હિત માટે મોહરા તરીકે ઉપયોગ કરી રહ્યા છે.




