વનતારામાં પહોંચેલી માણિકીનું નવું જીવન શરૂ



વનતારામાં પહોંચેલી માણિકીનું નવું જીવન શરૂ



જામનગર: વર્ષો સુધી પીડા સહન કર્યા બાદ હવે હાથીણી માણિકી માટે રાહતભર્યો નવો અધ્યાય શરૂ થયો છે. 48 વર્ષથી જીવન વિતાવી રહેલી માણિકીની હાલત છેલ્લા કેટલાક સમયથી અત્યંત ગંભીર બની હતી. તેના આગળના ડાબા પગમાં લાંબા સમયથી રહેલી ખોડખાંપણ, વધતી ઉંમર સાથેની આરોગ્ય સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખની નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શારીરિક નબળાઈએ તેની હાલત વધુ ખરાબ બનાવી હતી.
આ દરમિયાન આસામના હાઈવે પર લંગડાતી હાલતમાં તેનો એક વીડિયો વાયરલ થતાં સમગ્ર દેશમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો દ્વારા તેને બચાવવા માટે અપીલો કરવામાં આવી અને પ્રાણી કલ્યાણ સંગઠનો પણ આગળ આવ્યા હતા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માણિકીની માલિક રુચિ ચેતિયાએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને પત્ર લખી અદ્યતન સારવાર અને લાંબા ગાળાની સંભાળ માટે તેને વનતારા, જામનગર ખસેડવાની વિનંતી કરી હતી. જરૂરી મંજૂરીઓ બાદ હવે માણિકીને સુરક્ષિત રીતે વનતારા પહોંચાડવામાં આવી છે.
વનતારા ખાતે તેને અદ્યતન પશુચિકિત્સા સુવિધાઓ, સતત સારવાર અને કાયમી સંભાળ મળશે. અહીંના કુદરતી વાતાવરણ, નરમ માટી, તળાવો અને વિશાળ જગ્યા તેના આરોગ્ય સુધારવામાં મદદરૂપ બનશે.
વનતારા પ્રવક્તાએ જણાવ્યું કે માણિકીને લાંબા ગાળાની વિશિષ્ટ સંભાળ, પીડા નિવારણ, હાઈડ્રોથેરાપી, ઘા સારવાર અને પોષણ આધારિત સારવારની જરૂર છે. તમામ સારવાર યોજનાઓ તેના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
માણિકીનું આ સ્થળાંતર પ્રાણી સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં સમયસર પગલાં અને સહયોગથી એક જીવને નવી જીંદગી આપી શકાય છે.




