ઠાસરાના રસુલપુર ગામે બોર બનાવતી વખતે દુર્ઘટના, બે વ્યક્તિઓના મોત



ઠાસરાના રસુલપુર ગામે બોર બનાવતી વખતે દુર્ઘટના, બે વ્યક્તિઓના મોત



Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ખેતરમાં બોર બનાવતી વખતે જમીન ફસડાઈ જતાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, રસુલપુર ગામમાં એક ખેતરમાં બોર બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જમીન ફસડાઈ જતાં ખેતરમાલિક અને બોર ખોદતા મજૂર બંને માટી નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
જેસીબી મશીનની મદદથી ઢસડાઈ પડેલી માટી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભારે મહેનત બાદ બંને વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં 45 વર્ષીય ખેતરમાલિક હિતેશભાઈ કાંતિભાઈ પટેલનું મોત થયું છે, જ્યારે બોર ખોદતા મજૂર ધર્મેશ શંકરભાઈ ચાવડાનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે પરિવારજનો પર આભ ફાટ્યું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે.




