જૂનાગઢમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ, મહાનગરપાલિકાએ ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ તોડી પાડ્યો



જૂનાગઢમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ, મહાનગરપાલિકાએ ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ તોડી પાડ્યો



જૂનાગઢ જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરના વોર્ડ નં. 1ના દોલતપરા વિસ્તારમાં પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી કરી છે. કસ્તુરબા સોસાયટી અને માર્કેટિંગ યાર્ડ વચ્ચે આવેલી જગ્યાએ બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી છે.
ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોવાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) સહિત સ્થાનિકોએ મેયર ધર્મેશ પોંશીયા અને શાસક પક્ષના નેતા મનન અભાણી સમક્ષ રજૂઆત કરી હતી.
રજૂઆતના આધારે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગેરકાયદે કમ્પાઉન્ડ વોલના કારણે વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ સર્જાતો હતો.
મહાનગરપાલિકાએ સંબંધિત વ્યક્તિઓને 13 માર્ચ, 2026ના રોજ પ્રથમ અને 9 એપ્રિલ, 2026ના રોજ અંતિમ નોટિસ પાઠવી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપી હતી. જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું.
આખરે 4 જુલાઈ, 2026ના રોજ મહાનગરપાલિકાએ કાયદેસરની કાર્યવાહી કરીને કમ્પાઉન્ડ વોલ તોડી પાડી હતી. આ કાર્યવાહીથી અંદાજે 1,500 ચોરસ મીટર ખુલ્લી જમીન ઉપલબ્ધ થઈ છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આ કામગીરીના પરિણામે આગામી ચોમાસામાં દોલતપરા, કસ્તુરબા સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.




