જેતપુર પાસે રણુંજા મંદિરના મહંતનો કૂવામાંથી મૃતદેહ મળ્યો, બીમારીથી કંટાળી આપઘાતની આશંકા



જેતપુર પાસે રણુંજા મંદિરના મહંતનો કૂવામાંથી મૃતદેહ મળ્યો, બીમારીથી કંટાળી આપઘાતની આશંકા



રાજકોટ રાજકોટ જિલ્લાના જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હતા અને તે કારણસર આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેતપુર તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મંદિર સામેના કૂવામાંથી મૃતદેહ મળ્યો
જેતપુર-બગસરા રોડ પર બોરડી સમઢીયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું
પ્રાથમિક માહિતી મુજબ મહંત કરશનદાસ બાપુ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ જ કારણસર તેમણે આપઘાત જેવું પગલું ભર્યું હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




